યોજના:રાજ્યના ખેડૂતોને કિસાન સર્વોદય યોજના હેઠળ દિવસે વીજળી અપાશે
- PM મોદી જૂનાગઢથી 24મી ઓકટોબરે વર્ચ્યુઅલી આરંભ કરાવશે
- દાહોદ, જૂનાગઢ અને ગીર-સોમનાથના 1055 ગામડાંને દિવસે વીજળી અપાશે
છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની દિવસે વીજળી આપવાની માગણી હતી. આ માગણીને સંતોષતાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય લીધો હોવાનું ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રાથમિક તબક્કે દાહોદ,જૂનાગઢ અને ગીર-સોમનાથના 1055 ગામડાંમાં દિવસે વીજળી અપાશે. અે પછી તબક્કાવાર ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે વીજળી મળે તેવી વ્યવસ્થા કરાશે.
ઉર્જા મંત્રી સૌરભ પટેલે માહિતી આપતાં કહ્યું હતું કે, કિસાન સર્વોદય યોજનાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ઓક્ટોબરે વર્ચ્યુઅલી જૂનાગઢ ખાતેથી આરંભ કરાવશે. આ યોજના હેઠળ રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આવરી લેવાશે. ઉર્જા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે, આગામી સમયમાં રૂ. 420 કરોડના ખર્ચે 11 નવા 220 કે. વી. સબસ્ટેશન, રૂ. 2444.94 કરોડના ખર્ચે 254 નવી 220 / 132/ 66 કે. વી. લાઇન ઊભી કરાશે. પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1055 ગામડાંઓને આવરી લેવાયાં છે.
સવારે 5થી રાત્રિના 9 વચ્ચે વીજળી મળશે
રાજ્યમાં અત્યારે 153 ગ્રુપ છે તેમાં અડધા ગ્રુપને દિવસમાં અને અડધા ગ્રુપને રાતના વીજળી પૂરી પાડવામાં આવે છે. હવે આ યોજના હેઠળ સવારે 5 કલાકથી રાત્રિના 9 કલાક દરમિયાન વીજળી મળશે.