અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી અનલોક 4 અંગે બહાર પાડેલી ગાઈડલાઈનને અનુલક્ષીને ગુજરાત સરકારે અનલૉક 4ની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં ગુજરાતના તમામ ધર્મસ્થાનકોને ખોલી દેવાની છૂટ આપી દેવામાં આવી છે  પણ તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવું પડશે.


રૂપાણી સરકારે ગુજરાતના કોઈપણ વિસ્તારમાં લગ્ન સહિતના સામાજિક, ધાર્મિક કે રાજકીય સમારોહમાં 100 લોકોને એકઠા થવાની છૂટ આપી છે પણ તેનો અમલ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ઉપરાંત  મનોરંજનના કાર્યક્રમો માટે પણ એક સામટા 100થી વધુ જણા એકત્રિત થઈ શકશે નહિ. બીજ તરફ મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે 20 કરતાં વધુ લોકો એકઠા નહીં થઈ શકે.

આ માટે પણ નિયમ બનાવાયો છે કે, આ કાર્યક્રમોમાં આવનારે માસ્ક પહેરીને અને યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ અકઠા થવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફેસ કવર કરવા અંગે પણ આરોગ્ય ્ને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાની રહેશે અને તેની માર્ગદર્શિકાને અનુસરવાની શરત સાથે જ આ મંજૂરી આપવામાં આવશે. આ રીતે એકઠા થનારાઓ માટે સેનિટાઈઝરની પણ અલગથી વ્યવસ્થા કરવાની રહેશે.

આ રીતે હજુ પણ કોઈ મોટા સમારોહ યોજી શકાશે નહિ. મોટી સંખ્યામાં માનવ મેદની એકત્રિત કરી શાકાશે નહિ. આ તમામ કાર્યક્રમો માટે 8 જૂનથી અમલમાં મૂકવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને તે માટે અનુસરવી પડશે.